25-40 વર્ષના પડાવ દરમિયાન ભુલાઈ જતું એક એવું પાત્ર જે ખાલી પ્રસંગોપાત યાદ આવે છે બાકી એની કોઈ જરૂર જણાતી નથી અને અચાનક પછી એક દિવસ દિલ જુના દિવસો પાછા ઝંખે છે. અમુક કિસ્સામાં 35 વર્ષે તો મહત્તમ કિસ્સામાં 40 વર્ષે લોકો પોતાના સંતાનોને પોતાના સ્કુલ-કોલેજ ના કિસ્સાઓ સંભળાવતા હોય છે અને વિચારતા હોય છે કે કાશ એ દિવસો પાછા આવી જાય. પોતાના સંતાનોનું કે પછી અન્ય જુવાનિયાઓનું ગ્રુપ જોઈ પોતાના ગ્રુપને યાદ કરવાની મહત્તમ ઘટનાઓ 35-40 પછી ઘટતી હોય છે. કદી વિચાર્યું છે કે આવું કેમ થાય છે? બહુ વિચારતા જણાયું છે કે આવું થવાનું મુખ્ય કારણ 25-40 ની વચ્ચે “ટાઈમ મેનેજમેન્ટ”ના કરી શકવાનું કારણ જવાબદાર છે. હું 100% માનું છું કે આ જ એ પડાવ છે જ્યાં શક્ય તેટલું કમાઈ લેવું કે જેથી પછી થી અફસોસ ના રહે કે એ વખતે મેહનત કરી લીધી હોત તો અત્યારે પૈસાની બાબતે વિચારવું ના પડત. પણ એનો અર્થ એ પણ નથી કે બસ આખો દિવસ રૂપિયાની પાછળ જ દોડવું અને રૂપિયા મળે ત્યાં જ જવું અને મિત્રને મળવાનું ટાળવું. તો અમુક કિસ્સામાં બને છે એવું કે આ જ તબક્કા દરમિયાન દરેકને પોતાના જીવનસાથી નો સાથ પ્રાપ્ત થાય છે અને આ દોર એવો હોય છે કે સંબંધ ની શરૂઆત હંમેશા પરાકાષ્ઠા થી જ થાય અને એમ જ લાગે કે બસ હવે જીવનમાં કોઈની જ જરૂર નથી. અમે બે છીએ એટલે કોઈની જરૂર જ નથી. જેમ અમુક લોકો આખો દિવસ પૈસા પાછળ પડી રહે છે અને મિત્રોને મળવાનું ટાળે છે એમ આ લોકો એકબીજા સિવાય કોઈની જરૂર ક્યારેય પડશે જ નહિ તેમ માનીને મળવાનું ટાળે છે. પણ પછી બાળક આવે અને સંતાન મોટું થાય એ એના મિત્રો જોડે જતું થાય ત્યારે સૌ કોઈ યાદ કરે પોતાના જુના મિત્રોને. પણ અહીં પહોંચતા સુધીમાં દરેકમાં પોતાનો અહં પણ સ્થાન પામી ચુક્યો હોય છે અને એટલે અચકાય છે મિત્રોનો સંપર્ક કરતા. અને મનોમન અફસોસ કરતા રહે છે. તો કમાઓ ભરપૂર, જીવનસાથી સાથે નો સમય માણો અનહદ પણ સાથે જ મિત્રો ને પણ સમય આપો. આજે તમે એમને સમય નહિ આપો તો કાલે એ તમને સમય નહિ આપે. અને આ જ છે ટાઈમ મેનેજમેન્ટ. ક્યાં કેટલો સમય આપવો એની સમજણ પડી જાય તો કદી કોઈ વાતે મુશ્કેલી આવે જ નહિ. પણ મારા સહીત મોટાભાગના લોકો આમ જ થાપ ખાઈ જાય છે. પણ હું નથી ઈચ્છતો કે 40 એ કોઈ પણ વાત નો વસવસો રહે અને એટલૅ જ પ્રયત્નશીલ છું સતત સુધારા માટે. – વિશાલવાણી.