શાંત મનની ખીણમાં પડઘાય તારું નામ જ્યાં,
હું જ અસ્થિર ભેખડો માફક ગબડતો હોઉં છું – હેમેન શાહ
શેર વાચીને લાગ્યું હોય તો જાણી લો કે કોઈ પ્રેમિકાની વાત નથી કરવાની, પણ વાત કરવાની છે દાદાની. અનંત ચૌદશી એટલે કે ભાદરવા સુદ ચૌદસ, નો આજનો દિવસ આમ તો સમગ્ર જૈન સમાજ માટે બહુ અગત્યનો દિવસ કારણ આજનો દિવસ એટલે પર્યુષણ પર્વનો આખરી દિવસ, ક્ષમાપના દિવસ પણ એથી પણ વધુ આ દિવસ નું મહત્વ છે અમારા પરિવાર માટે. નવીપોળ દિગંબર જૈન મંદિર, માંડવી, આજથી લગભગ 19 વર્ષ પહેલા આ મંદિરનો જીર્ણોધ્ધાર થયો જેની સફળતામાં જે 3 નામોને લોકો આજે પણ યાદ કરે છે તેમાંના એક મારા દાદા સ્વ. રમણલાલ ચુનીલાલ શાહ. વડોદરા ના સૌથી જુના 2 મંદિરો(આજે તો આખા વડોદરા માં હવે 9 મંદિરો થઇ ગયા છે) એક વાડી અને બીજું નવીપોળ. બંનેની ઈમારત ડગી ગઈ હતી અને જીર્ણોદ્ધાર ની જરૂરત હતી ત્યારે દાદા અને એમના 2 મિત્ર કેસરી દાદા અને હરીશ દાદા એ આ બીડું ઝડપ્યું(એમને કઈ મુશ્કેલીઓ સહન કરી આ કામ પર પાડવા તે નહિ કહું કારણ એ લખવા માટે મારી પાસે પુરતી માહિતી પણ નથી તો હું એ લખવા માટે સમર્થ નથી) અને કામ ને સફળતા પૂર્વક પાર પાડ્યું. આ મંદિર માં એક મૂર્તિ શાંતિનાથ ભગવાનની મૂર્તિ જેની સ્થાપના દાદા એ કરી હતી અને વર્ષમાં એક વખત જેનો અભિષેક થાય તે અનંત ચૌદશીની દર વર્ષની બોલી દાદા અવસાન પામ્યા ત્યાં સુધી પોતે જ લેતા હતા અને એ જ પરંપરા જાળવી એમના અવસાન પછી પપ્પા એ. 2006, ડીસેમ્બર માં દાદા અવસાન પામ્યા બાદ 2007 થી પપ્પા આ બોલી બોલતા આવ્યા છે અને કોઈપણ કિંમતે આ બોલી આજ સુધી તો અમે જ લીધી છે. આમ તો હું બોલી બોલવાની વિરુદ્ધમાં છું કારણ મને લાગે છે કે આમ કરવાથી ભગવાનને અમીરો પુરતો સ્થગિત કરી દેવાય છે પણ હા આ બોલી સાથે શ્રદ્ધા નહિ પણ emotional attachment છે અને એટલે જ હું પણ આજનો અભિષેક કદીયે ચૂકતો નથી.
હવે તમને થતું હશે કે આ બધી વાતો આજે અચાનક કરવાનું શું કારણ? તો કારણ એ જ કે આજે જયારે બોલી અમારા નામે થઇ પછી બોલી બોલાવ્નારે દાદાને યાદ કર્યા અને યાદ કરાવી એ પળો જે દાદા એ અર્પી હતી તે મંદિરના જીર્ણોદ્ધારમાં. જયારે તમે પોતાના માટે જીવો છો ત્યારે અમુક વર્ષો માં વિસરાઈ જાઓ છો પણ જયારે તમે અન્યો માટે જીવો છો ત્યારે લોકો ના સ્મરણો માં અંકિત થઇ જાઓ છો. સમાજ માં ભાગ્યે જ કોઈ એવું હશે જે દાદા થી અજાણ હશે બાકી હર કોઈ દાદા ને જણાતું જ હોય અને એ વાત નું મને અભિમાન છે. દાદા સમાજ માટે જીવ્યા હતા અને પપ્પા એમની પરંપરા આગળ વધારી રહ્યા છે. શું કહ્યું? અને હું? હું હજી પ્રયત્નો કરું છું એમની રાહ પર ચાલવા માટે. – સપ્રેમ પ્રણામ એ મહાન આત્માને. મિચ્છામી દુક્કડમ દાદા.